[પાછળ]
પુણ્ય જો ના થઈ શકે તો
 
પુણ્ય  જો ના થઈ શકે તો પાપથી ડરવું ભલું
શાનથી  જીવાય  ના  તો આનથી મરવું ભલું
પુણ્ય  જો ના થઈ શકે                       

તું નથી પાષાણ ઓ મન કર જરા ઊંડું મનન
રામને  નામે   થવું  ગરકાવ  કે  તરવું  ભલું

શાનથી  જીવાય  ના  તો આનથી મરવું ભલું
પુણ્ય  જો ના થઈ શકે                       

મોત હો તો મોત  કિન્તુ જિંદગી તુજ દ્વારથી
જાય ખાલી હાથ યાચક  એથી તો મરવું ભલું

શાનથી  જીવાય  ના તો  આનથી મરવું ભલું
પુણ્ય  જો ના થઈ શકે                       

‘શૂન્ય’  શિખરની તમન્ના  અંત છે પુરુષાર્થનો
એટલે તો ખેલમાં મન મસ્ત  થઈ  ફરવું  ભલું

શાનથી  જીવાય  ના  તો આનથી મરવું ભલું
પુણ્ય  જો ના થઈ શકે તો પાપથી ડરવું ભલું

સ્વર અને સંગીતઃ ભરત ગાંધી ગીતઃ ‘શૂન્ય’ પાલનપુરી ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]