ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય લે આકાર જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી
ગયું ધૃત-મહિ-માખણ થકી, આપે થયું રે અશુદ્ધ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
પળમાં જોગી, ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી
નિષ્કુળાનંદ એ નરનો વણસમજ્યો વૈરાગ જી
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના
- નિષ્કુળાનંદ
ક્લીક કરો અને સાંભળોઃ
|