[પાછળ] 
બુદ્ધિવિજય
લેખકઃ રામનારાયણ વિશ્વનાથ પાઠક

(આ વાર્તા એક કાલ્પનિક કથા છે.)

વ્યાખ્યાન પૂરું થયું. આચાર્ય તપોવિજયજી, વ્યાખ્યાનનું ચાલુ પાનું ધીરેથી ગ્રન્થમાં ગોઠવી, પોથી બાંધી ઊભા થઈ પોતાના ખંડ તરફ ધીમે પગલે ચાલવા માંડ્યા. ચાલતાં ચાલતાં, માર્ગમાં ભાવથી સામું જોનારને અમૃતમય દૃષ્ટિથી વિદાય-આશીર્વાદ આપતા, અને વંદના કરતા શ્રાવકોને વૈખરીથી ‘ધર્મલાભ’ કહેતા, નગરના ભાવિક શેઠ વિમલશીલ ઊભા હતા ત્યાં તેઓ આવી પહોંચ્યા. વિમલશીલ હંમેશ મહારાજને અંદરના ખંડ સુધી મૂકવા જતા અને બે ઘડી મહારાજનો વિશેષ સત્સંગ સાધી પછી જતા. તેમની સામે પણ આજે તેમણે વિદાયની દૃષ્ટિ કરી ત્યારે તેમણે વિનયથી કહ્યું ‘આવું છું ને ?’

‘મેં જાણ્યું, આજે તમારે જવાની ઉતાવળ હશે’ વ્યાખ્યાન દરમ્યાન કશા પણ સંદેશા, કે વેપાર-રોજગારની કે સંસારની કશી પણ વાતની ખબર કદી પણ ન આવે એવો શેઠનો નિયમ હતો, તેમાં આજે અપવાદ થયો હતો. શેઠનો મોટો ભાણેજ આવીને કાનમાં કંઈક કહી ગયો હતો, અને તેને તરત પાછા જવાનું કહેતા શેઠનું મોં જરા મરક્યું હતું, એ આ વિચક્ષણ આચાર્યની નજર બહાર રહ્યું નહોતું પણ શેઠની ઇચ્છા હંમેશ માફક પાછળ આવવાની જોતાં આચાર્યે આગળ ચાલવા માડ્યું. શેઠ તેમની પાછળ પાછળ જવા લાગ્યા. અંદર પેસતાં આચાર્યે જ જરા સ્મિતથી કહ્યું.

‘પુત્ર આવ્યો ?'

‘જી, હા મહારાજ ! મેં કોઈને આવવા કહ્યું નહોતું પણ એ આવ્યો. એટલી આશાતના (નિષિદ્ધ કરેલો આચાર) થઈ ગઈ તો ક્ષમા કરશો.'

આચાર્યે પ્રસન્ન મુખે એ જ સ્મિતથી કહ્યું: ‘તો તેનું આલોયણું (પ્રાયશ્ચિત) કરવું પડશે.’

‘ફરમાવો, હું સાંભળવાને યોગ્ય છું.’

‘એ છોકરો અમને આપી દેજો, એ આલોયણુ’ અને પછી એના પર ભાષ્ય કરતા હોય તેમ કહ્યું ‘મેં ધારેલું લગ્ન ખરું હોય તે એને મહાન દીક્ષાયોગ છે, જો કે એક ગ્રહની વક્રદૃષ્ટિ છે તે જોવાનું રહે છે. મારું ગણિત ખરું હોય તો એનો વર્ણ તપાવેલા સોના જેવો હોય. तप्तकांचनवर्णाम् मनस्वी प्रमदाप्रियः | તપ્ત કાંચન જેવી તેની કાયા હોય, તે મનસ્વી હોય અને સ્ત્રીઓનો પ્રિય હોય. જ્યોતિષને ઘણાં માને છે, મને પણ તેનો અભ્યાસ છે, પણ જિનાગમે તેને મિથ્યાશ્રુત કહેલ છે તે યથાર્થ છે એવો મારો અનુભવ છે. આપણી તો એટલી ફરજ કે આપણે એને અનુકૂળ સંસ્કારો આપવા. નિર્ણય તો જીવ પોતે પોતાને માટે કરે એ જ ખરો. આપણે ઉતાવળા થઈ નિર્ણય પણ ન કરાવવો. માત્ર દેહનું સૌદર્ય કે માત્ર બુદ્ધિની પ્રતિભાનું અભિમાન પણ મહાન બંધન છે, તો આ તો બન્નેનો યોગ છે.’

‘જી મહારાજ, આપ કહેશે તેવા સંસ્કાર પાડીશ.’

“પ્રથમ તે હવે તમારે ચોથું વ્રત (બ્રહ્મચર્ય વ્રત) લઈ લેવું અને એને સારી રીતે વિદ્યા આપવી. એની મેળે વેપારમાં પડે તો ભલે, નહિતર એની શક્તિ પહોંચે ત્યાં સુધી એને વિદ્યા આપવી–અલબત, જિનાગમને અનુકૂળ રીતે.’

‘જી મહારાજ !’

આચાર્ય શેઠના મુખ સામું જોઈ રહ્યા. હજી શેઠની ઉંમર કાંઈ મોટી નહોતી ચોથું વ્રત લેવાની તેમની તત્પરતા કેટલી સાચી હતી તે જોવા તેમણે તેમની આંખ સામે દૃષ્ટિ કરી, અને તેમાં અક્ષોભ, દૃઢતા અને શ્રદ્ધા જોઈ બોલ્યા. ‘આજ સારો સંસાર તમને વધામણી આપશે ત્યારે અમે તમારો આખો સંસાર અને તેનું ફળ લઈ લીધું! ગૃહી-અગૃહી વચ્ચેનો એ ફરક!' આચાર્યે ગંભીર સ્મિત કર્યું.

‘આપ કહો છે ત્યારે કહું છું. અંધારિયા અમે વર્જેલાં જ હતા, અને પુત્ર આવે તો જાવજીવ (આજીવન) ચોથું વ્રત લેવા અમારો પહેલેથી સંકેત હતો. આપની એ જ આજ્ઞા થઈ એ તે હું સદ્‌ભાગ્ય સમજું છું. આપ દર વરસ પધારતા નથી પણ અનુકૂળતાએ પધારતા રહેશો અને આઠમે વરસે જરૂર પધારશો.’

‘યથા વર્તમાન’

વિમલશીલ વદીને ચાલ્યો ગયો. નગરના વંશપરપરાના નગરશેઠનું પદ મૂળ વ્યક્તિ પાસેથી નીકળી જઈ પોતાને ન મળે તે માટે તે કદી પણ કોટિપતિ થતો નહોતો, એ તો આચાર્યે માત્ર સાંભળેલું હતું. આજે ગૃહસ્થ હોવા છતાં, મુનિઓને પણ દુષ્કર એવું બ્રહ્મચર્યવ્રત તેણે લીધું તે પ્રત્યક્ષ જોઈ તેમને આશ્ચર્ય થયું. શેઠના ગયા પછી ઘણા વખત સુધી જ્યોતિષ, વિમલશીલના પુત્રનું ભવિષ્ય, તેની જન્મકુંડલીના ગ્રહો, જિનશાસનનું ખરું હિત, મોક્ષ, પોતાનું કર્તવ્યાકર્તવ્ય વગેરે અનેક વિચારોના વમળમાં ફરતાં તે કેટલીય વાર આસન ઉપર સ્તબ્ધ બેસી રહ્યા.

વિમલશીલે પુત્રનું નામ જિનદાસ રાખ્યું. તેને નાનપણથી જિનશાસનના સંસ્કારો પાડવા અને જિનધર્મને અનુકૂળ શાસ્ત્રનું અધ્યયન કરાવવું એ સહેલું હતું, પણ તેને માટે આવતાં કન્યાના માગાં પાછાં વાળવાં એ એટલું સહેલું નહોતું. તેણે વિનયથી બધા માગાં પાછાં વાળ્યાં. તેની પત્નીએ આમાં તેને અદ્‌ભુત સાથ આપ્યો.

જિનદાસની ઉંમર આઠ વરસની થઈ ત્યારે તપોવિજયસૂરિ પાછા આવ્યા. તેમણે જિનદાસને જોયો, સંતોષ બતાવ્યો અને પાંચ વરસ પછી વિચાર કરીશું કહી તેઓ પાછા વિહારે ચાલ્યા ગયા. પાંચ વરસ પછી જિનદાસને જોયો, તેની સાથે વાતચીત કરી, પણ તેને મોટો થવા દેવો જોઈએ કહી ફરી વિહારે ગયા.

અત્યાર સુધી વિમલશીલ સાધારણ જવાબોથી માગા કરનારાને પાછા વાળી શક્યો હતો પણ નગરશેઠના ઘરનું માગું એટલી સહેલી રીતે પાછું વળાય એમ નહોતુ. ગામ આખામાં વાત થતી હતી કે વિમલશીલ માગા પાછા વાળે છે તેનું કારણ એ હતું કે તેમને નગરશેઠનું કહેણ છે. અને તેમાં લોકોનો દોષ પણ નહોતો. નગરશેઠની એકની એક દીકરી જિનદાસથી ચારેક વરસ નાની હતી. જિનદાસની જ નિશાળે જતી. કોઈની પણ યોજના વિના બન્નેની વચ્ચે સ્વાભાવિક બાલોચિત પ્રીતિ થઈ હતી. અને બન્નેને જોઈ હર કોઈ કહી શકે કે ભગવાને સુંદર જોડું નિર્મ્યું છે. જિનદાસની પણ એવડી ઉંમર થઈ હતી કે તે લોકોની વાયકાનો અર્થ મભમ સમજી શકે અને તેનું કૌતુક અનુભવે. અને તેથી એ વાત ચોક્કસ કરવાની જરૂર હતી.

નગરશેઠ પોતે વિમલશીલને ત્યાં આવ્યા. પોતે અત્યાર સુધી પોતાની પદવી માટે વિમલશીલના આભારી હતા. બંને બાળકો એકબીજાને લાયક હતા, તો ના પાડવાનું કારણ જાણવા જેટલો પોતાને હક છે અને જાણ્યા વિના નહિ ખસું એવી મીઠી હઠ કરી બેઠા. વિમલશેઠે જિનદાસને બહાર જવા નિશાની કરી અને પછી તપોવિજયજીએ કહેલ બધી વાત કરી. જિનદાસનો વર્ણ તપ્તકાંચન જેવો હશે એ આચાર્યજીએ જોયા વિના જ ભાખેલું હતું. જિનદાસના ગ્રહો એવા છે કે જો તે દીક્ષા ગ્રહણ કરે તો જિનશાસનનો પ્રતાપી ધારક થાય. જો કે એક ગ્રહની વક્ર દષ્ટિ છે તેથી રાહ જોવાની જરૂર છે. નગરશેઠ સમજ્યા. તેમણે કહ્યું ‘જો દીક્ષાની ના ઠરે તો મારો જ રૂપિયો સ્વીકારજો’ અને વિમલશીલે કહ્યું : ‘એ કબૂલ. અને તેમ છતાં તે પહેલાં સારો મૂરતિયો મળે તો સંબંધ કરવાને તમે છૂટા. દીકરીના માવતરથી ક્યાં સુધી રાહ જોવાય?’

જિનદાસને વાતચીત માટે ઓરડા બહાર કાઢેલો પણ તેણે નજીકમાં સંતાઈને બધું સાભળ્યું. તેને ખાતરી હતી કે નગરશેઠની દીકરી સાથે પોતાના સગપણની વાત થવાની હતી. અને એ જ વાત નીકળતી ગઈ તેમ તેમ તે વધારે આતુરતાથી સાંભળવા માડ્યો. ત્યાં તેણે તપોવિજયની વાત સાભળી અને તેને ઘણું જ આશ્ચર્ય થયું. ત્યારથી તેનામાં બે પ્રબળ સંકલ્પો જાગ્યા. માણસનું મન એવું વિચિત્ર છે કે બે તદ્દન વિરોધી સંકલ્પો એક સાથે પોષાવા માંડે, પ્રબળ થવા માંડે ! એક બાજુથી તેનામાં સ્ત્રીઓને પણ આકર્ષી શકે એવા પોતાના તપ્તકાંચન વર્ણનું અભિમાન થયું, અને બીજી બાજુથી સંન્યાસ લેવાની અને જૈનશાસનના ધારક થવાની મહેચ્છા જાગી. અનેક વૃત્તિઓના વંટોળથી તેનું મન ખોટી ઊંચાઈએ ચડ્યું અને વધારે દુર્લભ અને વધારે દુષ્કર પ્રગતિ માટે જ, સંન્યાસજીવન લેવાનો તેણે નિર્ણય કર્યો. તેને સોળમું વરસ બેઠું ત્યારે તપોવિજયજી આવ્યા. તેમને હવે વાર્ધક્યના ચિહ્નો જરાજરા દેખાવા લાગ્યા હતા અને તેઓ પોતાની વિદ્યાઓનું કોઈ સત્પાત્ર શોધતા જ હતા. તેમણે ઘણી જ મમતાથી જિનદાસને બેલાવ્યો, અને દીક્ષા લેવાની તેની પોતાની ઈચ્છા છે કે નહિ તે પૂછ્યું. તેને સ્પષ્ટ સમજાવ્યું કે જો સંસારની જરા પણુ ઈચ્છા હોય તો સંસારમાં જ જવું, અને સાચા સંસ્કાર હશે તે એની મેળે ભવિષ્યમાં દીક્ષા મળી રહેશે.

જિનદાસે સામો પ્રશ્ન કર્યો: ‘આપે સંસારમાં ગયા પછી દીક્ષા લીધેલી કે ગયા વિના જ ?'

સર્વ પ્રસન્ન થઈ ગયા. તપોવિજયજીએ કહ્યું:

‘સંસારમાં ગયા વિના જ.’

‘ત્યારે હમણા દીક્ષા લેવાથી આપના જેવું જ્યોતિષજ્ઞાન મને મળશે ?’

જીવનમાં કદી નહિ લાગેલો એવો તપોવિજયજીને મહાન આઘાત લાગ્યો. પોતે જ વિમલશીલને જ્યોતિષ ઉપરથી વાત કરી તે ભૂલ જણાઈ. તેનો પશ્ચાત્તાપ તેમને થયો. બધો આઘાત અને બધું દુઃખ ગળી જઈને માત્ર એક નિઃશ્વાસ નાંખીને તેમણે ધીમેથી કહ્યું : ‘જિનદાસ, બે વરસ વધારે વિચાર કર. દીક્ષા તપને માટે લેવાની હોય છે. વિદ્યા તો આવવી હોય તો આવે, અને જોતિષ તો મિથ્યાશ્રુત છે. એના લોભથી દીક્ષા લેવાય નહિ.’

બેએક દિવસ પછી વિમલશેઠે ફરી દીક્ષાનો પ્રશ્ન કાઢ્યો, ત્યારે ફરી નિ:શ્વાસ નાખી એ એટલું જ બોલ્યા કે ‘હજી ઉંમર થવા દો.’

વિમલશીલે કહ્યું કે શાસ્ત્ર પ્રમાણે એ વ્યક્ત (દીક્ષાયોગ્ય ઉંમર માટેનો આ પારિભાષિક શબ્દ છે) થયેલ છે. ત્યારે સૂરિએ કહ્યું ‘ઉંમર તો થયેલ છે, પણ અમે તો કાવ્યશાસ્ત્રકારોનો મત અહીં ઈષ્ટ ગણીએ છીએ. સંસારના ભાવોને વ્યક્ત રૂપે સમજી શકે પછી દીક્ષા માગશે તો વિચારીશું.'

જિનદાસ ચતુર હતું. તેને લાગ્યું કે બોલવામાં તેની કંઈક ભૂલ થઈ છે. તેણે નિયમિત વ્યાખ્યાનમાં જવા માંડ્યું અને શાસ્ત્રાધ્યયન કરવા માંડ્યું. પોતાની શી ભૂલ થઈ હતી તે તે સમજ્યો, અને એવી ઐહિક વાસના કાઢી નાખવા તેણે તપઃપૂર્વક અથાગ પ્રયત્ન કર્યો. બે વરસ પછી તપોવિજયજી પાછા આવ્યા અને પૂછ્યું.

‘કેમ, દીક્ષા લેવી છે ?’

‘જી હા.’

‘શા માટે ?’

‘કર્મ ખપાવવા માટે’

‘સંસારની વાસના નથી?’

‘બિલકુલ નથી એમ તો કેમ કહેવાય ? પણ તપ વડે અને ગુરુના પ્રતાપે તે ટાળી શકીશ.’

તપોવિજયજી અને આખો સંઘ રાજી થઈ ગયો. જિનદાસને દીક્ષા આપી બુદ્ધિવિજય કર્યો. જૈન સંઘે અને ખાસ કરીને નગરશેઠે મોટો ઉત્સવ કર્યો.

જૂના કુટુંબસંસ્કારોથી દૂર કરવા અને સંન્યાસના સંસ્કારો દઢ કરવા તપોવિજયજી તેને દૂરના રાજ્યમાં લઈ ગયા, જ્યાંનો રાજા જિનશાસનને માનનારો હતો અને તપોવિજયજીનો ભક્ત હતો.

તપોવિજયજી આ વખતે આવા તેજસ્વી, સ્વરૂપવાન શિષ્યને લઈને આવ્યા તેથી લોકેામાં બન્નેનો મહિમા વધ્યો અને બુદ્ધિવિજય તરફ સૌને કૌતુક થયું. બુદ્ધિવિજયે અભ્યાસમાં સારી પ્રગતિ કરવા માંડી અને તેથી તેની કીર્તિ વધતી ગઈ. તે સાથે તે જુવાન થવા લાગ્યો તેમ તેની કાંતિ પણ વધતી ગઈ અને અર્ધું સમજતી, અર્ધું નહિ સમજતી લોકજનતાએ સહસ્ત્ર જીભે અને સહસ્ત્ર નયને તેને રૂંવેરૂંવે સભાન કરી નાખ્યો. તેની એકેએક ક્રિયામાં કોઈ અદ્‌ભુત છટા દેખાવા લાગી. જીવનની કોઈ પણ રીતભાત એટલી સાદી નથી કે જેમાં માણસ છટા ન આણી શકે.

ગુરુ આ સર્વ માયા સમજતા હતા, અને શિષ્ય માટેની તેમની ચિંતા વધતી જતી હતી. વારવાર સંન્યાસધર્મ, વાસનાપ્રાબલ્ય, વાસનાની છેતરપિંડી ઉપર શિષ્યને કહેતા. શિષ્ય બુદ્ધિથી સમજતો જણાતો પણ તેના મનના ઊંડાણમાં બુદ્ધિનું અભિમાન, શરીરની તેજસ્વિતાનું અભિમાન, સ્ત્રીઓને અને લોકોને ચકિત કરી આકર્ષવાની વાસના વધતી જતી જણાતી હતી. પણ એક દિવસ તો એ બનાવ બન્યો કે ચિંતાને બદલે ગુરુનું આખું મન ઊકળી ઊઠ્યું. બુદ્ધિવિજય પોતાનાં સર્વ ઉપકરણો અને શક્તિના પ્રદર્શનપૂર્વક ગોચરીએ ગયેલો, અને ત્યાં નગરના કોટિ પતિની દીકરી એના પર એટલી મોહિત થઈ ગઈ કે તેના હાથમાંથી વહોરાવવાનું વાસણ પડી ગયું. તપોવિજયજીના દુઃખનો અને ઘૃણાનો પાર ન રહ્યો.

‘આટઆટલા દિવસથી તને કહું છું કે તારો મેલ સમજ ને તેને ક્ષીણ કર. તેને બદલે તું તારા સંયમ જીવન ઉપર પણ પાણી ફેરવવા બેઠો છે એટલું જ નહિ પણ આખા શાસનની હીલના કરે છે તે સમજે છે?’

બુદ્ધિવિજય ગુરુનો તાપ જીરવી શક્યો નહિ. તે ગભરાઈ ગયો ને બોલી ઊઠ્યો: “મહારાજ, ખૂબ સમજવા પ્રયત્ન કરું છુ. કંઈક સમજું ય છું પણ....'

‘શું સમજે છે ?’

‘મહારાજ, મારો દોષ નથી. મારા જન્મસંસ્કારો ખરાબ છે. આપે તે દિવસે વ્યાખ્યાનમાં કહેલું તેમ, મારા માબાપે જે સંયમ પાળેલો, તેની વકરેલી વાસનાના સંસ્કારો મારામાં ઊતર્યાં છે. પ્રયત્ન છતાં.. ”

થોડાં દિવસ પહેલા તપોવિજયજીએ ગૃહસ્થજીવન અને સંન્યાસજીવનનો ભેદ સમજાવતા કહેલું કે કેટલાંકની વાસના માત્ર દમનથી અને ચિંતનથી શમી શકતી નથી, દમનથી ઊલટી વકરે છે. તેમને માટે ગૃહસ્થજીવન છે. એવાઓએ ગૃહસ્થજીવનના સંયમ-નિયમથી વાસનાને વશ કરવી જોઈએ—–જેમ ભડકતા ઘોડાને ધણી પંપાળતો અને ઘાસચારો આપતો વશ કરે તેમ.

આ ખુલાસો સાંભળતાં તપોવિજયજીનો ક્રોધ હાથમાં ન રહ્યો. તેમનાથી બોલી જવાયું: ‘કેટલું પાપ! મારા વ્યાખ્યાનનો કેટલો દુરુપયોગ! પોતાના પાપને માટે બીજાને દોષ ચડાવવાનું કેવું ચાપલ્ય અને તે પણ માબાપને માથે! તારા પર મોટામાં મોટા ઉપકાર કરનારને તું આ બદલો આપે છે, તો તું જેના પર ઉપકાર કરીશ તેનાથી જ તારો સર્વનાશ થશે એ નક્કી જાણજે— જો કે તું કોઈ ઉપર ઉપકાર જ કરવાનો નથી’

તે દિવસે ગુરુએ ભોજન લીધું નહિ. બીજે દિવસે બુદ્ધિવિજયે ક્ષમાયાચના સાથે આલોયણું માગ્યું. ગુરુએ કહ્યું, ‘સૌએ પોતપોતાનું આલોયણું કરી લેવું જોઈએ. કોઈ કોઈને સલાહ આપી શકતું નથી.’

બુદ્ધિવિજયે આઠ દિવસના ઉપવાસ કર્યા. એ પોતાની મેળે તપ કરે છે એ વાતથી સહાધ્યાયીઓમાં અને રાજદરબારમાં પણ તેની કીર્તિ વધી. એક દિવસ રાજાએ પોતે આવી ગુરુને માટે શિષ્યના, તેની બુદ્ધિના, તેની તેજસ્વિતાના, તેના ત્યાગના, સંયમના વખાણ કર્યા, ત્યારે તપોવિજયજીએ કહ્યું. ‘જે માણસને સામે ગામ જવું છે, તે તો ચાલવાનું કેટલું બાકી રહ્યું એ જ વિચારે કે તે પાછા ફરીને કેટલું ચાલ્યો તે જોવા ઊભો રહે? તેમ ત્યાગ કરનારને કેટલું છોડ્યું તે ન વિચારવું જોઈએ, ક્યાં જવું છે ને તે કેટલું દૂર છે તે વિચારવું જોઈએ. જે માણસને તરીને સામે કાંઠે જવું છે, તેની નીચે એક માથોડું પાણી હોય તે ય સરખું અને પાંચ માથોડા હોય તે પણ સરખું. તેને તો સામે કાંઠે જવું છે. જેને ડૂબકીનુ કૌશલ દેખાડવું છે તેને માટે ફરક ખરો પણ જેને સામે કાંઠે પહોંચવાની તાલાવેલી છે તેને એ કૌશલ દેખાડવાની તમા નથી હોતી અને ડૂબકી મારનાર કૌશલ દેખાડી શકે પણ તેને ડૂબવાનો ભો ખરો. સાચો સાધુ આવો વિચાર નથી કરતો અને દેહની કાંતિનું અભિમાન શું? દેહ તો ભૌતિક વસ્તુ છે. ભૌતિક ઉપાયોથી પણ દેહ એવો કરી શકાય!’

રાજાએ પૂછ્યું : ‘બાહ્યોપચારથી દેહનો વર્ણ બદલાવી શકાય ખરો ?’

‘હા, એવા ઉપચાર હોય છે. કેટલાંક ગુરુઓ ધર્મમાં શ્રદ્ધા બેસાડવા એવા કામમાં પડે છે. પણ એ સર્વ અવળા રસ્તા છે.’

બુદ્ધિવિજયે બહુ જ ધ્યાનથી આ બધું સાંભળ્યું. વિશ્વના ઘણાએ ગ્રંથો ભડારમાં હતા, પણ ગુરુએ તે ભણવાની ના પાડી હતી. પણ આ બાહ્યોપચારનો એક જ નુસખો મળી જાય તો ઘણો ચમત્કાર કરી બતાવાય! તેનો જિનશાસનનો પ્રચાર કરવામાં ઉપયોગ કરી શકાય! અનેક રાજ્યો ઉપર સત્તા બેસાડી શકાય!

બુદ્ધિવિજયની બધી સ્વાર્થી મહેચ્છાઓએ જિનશાસનના પ્રચારનું રૂપ લીધું. ઉપવાસ દરમ્યાન પોતાના જીવન ધ્યેયને અનુકૂળ જીવન ઘડવા તેણે મહાન નિશ્ચય કર્યો. ઉપવાસ પછી પંદરેક દિવસે ગુરુ, બુદ્ધિવિજય અને પોતા પાસે ભણતા બીજા કેટલાક સાધુઓ સાથે વિહાર કરી ગયા. કીર્તિના પ્રદેશથી દૂર લઈ જવાથી શિષ્યને ફાયદો થશે એમ તેમણે માન્યું. અને બુદ્ધિવિજયના વર્તનમાં તેમને ખરેખર ફેર દેખાયો. હવે તેણે ટાપટીપ છોડી દીધી હતી અને શાસ્ત્રાધ્યયન ઉપર તે વધારે ધ્યાન આપતો હતો. ગુરુની સેવા પણ તે વધારે નિષ્ઠાથી કરવા લાગ્યો હતો. એક દિવસ બુદ્ધિવિજય ગુરુની ઉપચર્યા કરતાં કંઈક વિચારમાં પડી ગયો ત્યારે ગુરુએ પૂછ્યું,

‘કેમ, શા વિચારમાં પડી ગયા છો?’

‘જી, આપનાં વચનોનું મનન કરું છું.’

‘ક્યા વચનો ?’

‘નહિ, આપે તે દિવસે મહારાજાની સાથેની વાતચીતમાં કહેલાં ? આપે તો વાતચીતમાં કહેલાં પણ સંયમધર્મનો બધો ઉપદેશ એટલામાં આવી જાય છે. આપે ડૂબકી મારવાની અને તરવાની વાત કરી તે બરાબર છે. કેવું સુંદર દૃષ્ટાંત!’

અહિત કરનાર તરફ ક્રોધ ન કરવો એ દુષ્કર છે, પણ ક્રોધને પણ જીતી શકાય છે. ખુશામત જીતી શકાતી નથી! ગુરુ બુદ્ધિવિજય ઉપર પ્રસન્ન થઈ ગયા. ધીમે ધીમે તેના તરફ મમતા વધી. ધીમે ધીમે બુદ્ધિવિજયને તેમણે સર્વ છૂટ આપી. આખો પુસ્તક ભંડાર હવે તેને માટે ખુલ્લો હતો. ગુરુએ વાંચેલી જ પોથીઓ વાંચવા તેણે લાડથી માગણી કરી અને ગુરુએ પોતે વાંચેલી પોથીઓ ભંડારમાં ક્યાં છે તે બતાવી. તે એકેએક પોથી ખોલી જોઈ ગયો. તેમાંની એકમાંથી તેને સુવર્ણવર્ણપ્રયોગના ચાર પાના મળ્યાં. એ એ જ પ્રયોગ હતો. તે છાનોમાનો એ પ્રયોગ અનેક વાર વાંચી ગયો, અને ગ્રંથો અને કોષો આધારે તે બધું સમજી ગયો. માત્ર એક શબ્દ તેને ન સમજાય ‘આ આટવિક એટલે શું ?’ સાધારણ અર્થ તો ‘જંગલનો માણસ’, પણ તે અર્થ અહીં બેસતો નહોતો જ ! તેણે ગુરુ પાસે કોષગ્રંથનું અધ્યયન શરૂ કર્યું. થોડાં જ દિવસમાં આટવિક શબ્દ આવ્યો. ગુરુને અર્થ પૂછ્યો. ગુરુએ કહ્યું, આટવિક એટલે જગલમાં રહેનારા–જંગલના રાજા, ઠાકરડા એ અર્થ પણ થાય પણુ એ અર્થ પ્રસિદ્ધ હતો અને એ પેલા નુસખામાં બેસતો નહેાતો. તેણે પ્રશ્ન કર્યો.

‘કોઈ જગાએ એક રાજાના પ્રતાપના વર્ણનમાં વાંચ્યું છે કે તેણે આટવિકોને આટવિકોની પેઠે બાળ્યા! ત્યાં બીજા આટવિકનો અર્થ છે ?’

‘સાહિત્યમાં આ શબ્દ પહેલી જ વાર હું સાભળું છું પણ અર્થ સ્પષ્ટ છે. બીજા આટવિકનો અર્થ જેને અડાયું છાણું કહીએ છીએ તે ત્યાં ગોમય શબ્દ ઉમેરી લેવાનો છે. રસના ગ્રંથોમાં ગોપન માટે આ પ્રમાણે નામ અનુક્ત રાખે છે.’

‘રસ એટલે?’

‘રસાયન શાસ્ત્ર, વૈદકનો રસાયન વિભાગ.’

બુદ્ધિવિજયનો ચહેરો એકદમ પ્રફુલ્લિત થઈ ગયો. તપોવિજય તે જોઈ ગયા. તેમણે તરત પૂછ્યું : ‘ક્યા ગ્રંથમાં આટવિકનો આ પ્રયોગ તમે જોયેલો?’

‘મહારાજ, યાદ નથી. કદાચ મહાભારતમાં વાંચ્યું હશે કે કોઈ બીજા પુરાણમાં.’

પુરાણનું નામ દીધું એટલે હવે બતાવો જોઈએ એમ કહેવાપણું રહ્યું નહિ.

ગુરુ તત્ક્ષણ દૃઢ પગલે ઊઠ્યા બુદ્ધિવિજયને ત્યાં જ રાખી બીજા બે શિષ્યોને સાથે લઈ ગ્રંથભંડારમાં ગયા. જેટલાં જેટલાં જ્યોતિષનાં અને વૈદકના ચમત્કારનાં પુસ્તકો હતાં તે બધાં જાતે કાઢી કાઢી તેનો એક ખડકલો કર્યો. પોતાના જ અંગ ઉપરનું એક વસ્ત્ર કાઢી તેમાં બધાં બાંધ્યાં ને શિષ્ય પાસે ઉપડાવી બહાર લઈ ગયા. વહોરાઈ ગયેલા અગ્રાહ્ય પદાર્થની પેઠે એ બધા ગ્રન્થને દૂર જમીનમાં ઊંડો ખાડો ખોદી ભંડારાવ્યા. બુદ્ધિવિજયે શોક અને પશ્ચાત્તાપની મુદ્રા ધારણ કરી છતાં તેની આંખમાં ગુરુ એક પ્રકારનો વિજય પારખી ગયા, –બુદ્ધિવિજયને આ નુસખો મોઢે હતો! – પણ કાંઈ બોલ્યા નહિ.

તે દિવસથી તપોવિજયજીની પ્રકૃતિ લથડવા માડી. તેમને એકદમ વાર્ધક્ય આવ્યું. તેમને કશામાં રસ ન રહ્યો. જાણે, ન સુધરી શકે એવી કોઈ મહાન ભૂલ થઈ હોય, આખું જીવન હારી બેઠા હોય, તેવી નિરાશામાં તેઓ કળતા ગયા. બુદ્ધિવિજયે તેમની અદ્‌ભુત સેવા કરી. તેની સેવા શહેરમાં, રાજકુલમાં જ નહિ પણ આખા જૈન સંઘમાં વખણાવા માંડી. સૌને લાગ્યું કે તપોવિજયજી પોતાની પછી તેને જ આચાર્યપદે સ્થાપશે પણ એ આશા ફળીભૂત થવાના કોઈ ચિહ્નો દેખાયાં નહિ. ધીમેધીમે લોકોએ તેનું કારણ તપોવિજયજીનું વાર્ધક્ય અને તજ્જન્ય બુદ્ધિમન્દતા માની, અને બુદ્ધિવિજય તરફનો સર્વનો પક્ષપાત તેથી વધતો ગયો.

ગુરુનો અંત પાસે આવતો દેખાયો. તપોવિજયજી તદ્દન ક્ષીણ થઈ ગયા. બુદ્ધિવિજયે આજ સુધી ગુરૂની સેવા કરવામાં કશી કચાશ રાખી નહોતી. એ સેવાથી ગુરુ પ્રસન્ન થઈ કોઈ નુસખો કહેતા જશે, છેવટે પોતાની પછી આચાર્ય પદવી માટે ભલામણ કરતા જશે એવી તો આશા હતી જ, પણ ગુરુ તો અવાચક થઈ ગયા ! જોકે શુદ્ધિમાં હતા. અનેક વાસનાઓની મભમ તૃપ્તિની આશાએ બુદ્ધિવિજયે રાજવૈદની માત્રા આપી ગુરૂને બોલતા કરવા પોતાના સહાધ્યાયીઓને કહ્યું, પણ બધાંઓએ આવા નિસ્પૃહ અને વીતરાગ ગુરુને કંઈ કહેવાનું હોય જ નહિ એમ કહી નકામો ત્રાસ આપવા ના કહી. પણ બુદ્ધિવિજયે માન્યું નહિ. એણે બધાના દેખતાં છેવટે જગતના કલ્યાણ અર્થે અને શિષ્યોના આશીર્વાદ માટે કંઈક વચન કહી શકાય માટે માત્રા લેવા ગુરુને વીનવ્યા. બધાંઓને નવાઈ લાગી કે ગુરુએ હા કહી. માત્રા મંગાવી. આથી ઉત્સાહમાં આવી બુદ્ધિવિજયે ફરી પૂછ્યું કે બધાંને કઈ કહેવાનું છે કે માત્ર પોતાને જ; અને ગુરુએ નિશાની કરી કે માત્ર તેને જ કંઈ કહેવાનું છે. શિષ્યોના આશ્ચર્યનો પાર રહ્યો નહિ, અને બુદ્ધિવિજય માટે તેમનો આદર ઘણો વધી ગયો. એકાંતમાં બુદ્ધિવિજય માત્રા આપી ગુરૂનું વાક્ય સાંભળવા હાથ જોડી ઊભો રહ્યો. ગુરુએ માત્ર એક જ વાક્ય કહી પ્રાણ છોડ્યાઃ ‘પેલો આટવિક પ્રયોગ કદી ન કરતો.’

બુદ્ધિવિજય માથે વજ્ર પડ્યું હોય એમ સ્તબ્ધ થઈ ગયો. આટલી સેવા છતાં કેટલો દ્વેષ! કેટલી ઈર્ષા! સુવર્ણપ્રયોગને બદલે આટવિક કહી કેવું મહેણું માર્યું! મરતાં મરતાં પણ કેવો ઘા કર્યો ! અને બુદ્ધિવિજયને એટલો કાળ ચઢ્યો કે એ મરણ પામેલા માણસનું પણ તેણે મનના અંધારા ખૂણામાં એક સાથે સો વાર ખૂન કર્યું. પણ તે ગમ ખાઈ ગયો. ગુરુ નીચે આટલાં વરસ રહી, તેણે બીજી નહિ તો સ્વસ્થ મુદ્રા ધારણ કરવાની સાધના કરી લીધી હતી. અને એવી સ્થિતિમાં પણ તેની બુદ્ધિએ એક મહેચ્છાના વિનાશમાંથી બીજીનું સાધન મેળવી લીધું. ગુરુ પાસેથી બહાર આવતા સહાધ્યાયીઓએ ગુરુએ શું કહ્યું તે પૂછતાં, તેણે ઘણી આનાકાની કરી, છેવટે કહ્યું, ‘જો બધાઓ આચાર્યપદ આપવા ઇચ્છા બતાવે તે ના ન પાડતો.’

‘તે તમે ના પાડેલી હતી ?’

’તેમણે અનેક વાર કહેલું ને મેં દર વખત ના કહેલી.’

બુદ્ધિવિજયને આચાર્યપદ મળતા વાર ન લાગી. હવે તેણે બધા રાજાઓના દરબારમાં પોતાનું ગુરુપદ સ્થાપન કરવા અને જિનશાસન પ્રસારવા અનેક પ્રયત્નો કરવા માંડ્યા. જ્યોતિષના ગ્રંથો મગાવી શાસ્ત્રીઓ રાખી તે શીખી ગયો અને ફલજ્યોતિષથી સર્વને ચકિત કરવા લાગ્યો. અનેક રાજ્યોમાં તેણે પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. માત્ર છેવટનો પેલો નુસખો કોઈ જગાએ કરવાની તે રાહ જોતો હતો. તેની પણ તેને તક મળી ગઈ. દક્ષિણનું એક મહાન રાજ્ય ચુસ્ત શિવમાર્ગી હતું, અને જૈનોને ત્યાં સોષાવું પડતું. તેનો એકનો એક કુંવર અતિશય કાળો હતો. તેણે ત્યાં ચાતુર્માસ નિવાસ કર્યો. તે દરમ્યાન, પોતાની ચમત્કારિક શક્તિઓનો કુશળતાથી પ્રચાર કરાવ્યો, અને છેવટે રાજાને પોતાના ષડયંત્રમાં લીધો. પાટવી કુંવરનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો થાય તો રાજાએ જૈન ધર્મ સ્વીકારવો એમ નક્કી થયું. આ વિજય કરી, તેના પછી બુદ્ધિવિજયની યોજના ઉજ્જયિનીમાં જિનશાસન સ્થાપવાની હતી. ચાતુર્માસ કરીને તે ઊપડે, ઉજજયિની પહોંચે, ત્યાંનું મહાજન સામૈયું કરી તેને લઈ જાય, ત્યાં એક બે દિવસમાં દક્ષિણના મહારાજ્યના દીવાન અને અન્ય દરબારીઓ, ઉજ્જયિનીના રાજાના મહેમાન થઈ પોતાને ખબર કરવા આવે, એ પ્રમાણે તેણે પ્રયોગ દિવસ જ્યોતિષ જોઈ ગોઠવ્યો. પ્રયોગ તેને મોઢે હતો જ. એકેએક હકીકત તેણે રાજાને બરાબર લખાવી, દીવાનને સમજાવી, કુવરને હિંમત આપી કહે તે પ્રમાણે કરવા સમજાવ્યું, અને નિયત દિવસે પ્રયોગ શરૂ કરવાનું, અને પછી તેના ખબર ઉજ્જયિની મોકલવાનું ફરી કહી ચાતુર્માસ પૂરા થયે તેણે ઉજ્જયિની તરફ પ્રસ્થાન કર્યું.

નિયત કરેલે દિવસે રાજા અને દીવાને મહેલમાં કુંવરના પ્રયોગ માટે સ્થાન નક્કી કર્યું. નાહવાનું પાણી તૈયાર કરવાની એક જગા નક્કી કરી, પાણી ગરમ થાય એટલે તેમાં નાખવાની પડીકી કુંવરને સોંપી. એ પાણીથી કુંવરે નવસ્ત્રા થઈ નાહવાનું હતું. નાહતા જરા પણ જગા કોરી ન રહી જાય તે જોવાનું, પડીકી નાખવાનું અને નાહવાનું કુંવરે જાતે જ કરવાનું હતું. કારણ કે નાહતાં અને નાહ્યાં પછી બે પ્રહર સુધી એ નાહવાની જગાથી હજાર વામ સુધી કોઈ માણસે ત્યાં રહેવાનું ન હતું. પ્રયોગની વિચિત્રતા એ હતી કે નાહવાની જગાની પાસે જ એક પુરુષપુર લાંબો અડાયા છાણનો આટ કરી, સળગાવી, તેની રાખ માંડમાંડ સહન કરી શકાય એટલી ગરમગરમ હોય ને તરત નાહવાનું શરૂ કરવાનું હતું. કુંવરે પોતે જ એ આટમાં ત્રણ જગાએ આંગળી ખોસી પછી નાહવા બેસવાનું હતું.

કુંવર ફરતી હજાર વામ દૂર સિપાઈઓની ચોકી ગોઠવાઈ ગઈ. એટલા ભાગમાં કોઈએ હાજર રહેવાનું ન હતું. મહારાજાએ પણ હાજર રહેવાનું નહોતું, પણ એકનો એક દીકરો, બાપનો જીવ કેમ રહે ? બુદ્ધિવિજય ત્યાં હોત તો તેના પ્રભાવથી કદાચ રાજા દૂર રહેત, પણ અત્યારે તો એ એક વાત તે માની શક્યો નહિ. કુંવરથી પણ છાનો તે કુંવરને દેખી શકે તેમ નજીકમાં સંતાઈ રહ્યો, અને પ્રયોગ જોવા લાગ્યો.

કુંવરે કહ્યા પ્રમાણે વસ્ત્રો ઉતાર્યાં, પેલા અડાયાં છાણના આટમાં ત્રણ જગાએ આંગળી ખોસી જોઈ, પાણીમાં પડીકી નાખી, પાણી હલાવી અંદર મેળવી દીધી. બધું પાણી ઘડીકમાં લીલું બની ગયું! કુંવર જરા ડર્યો પણ પછી નાહવા લાગ્યો. ક્યાંય કોરો ન રહી જાય એવી સૂચના બોલવાનું મહારાજાને મન થઈ ગયું. પણ કુંવર બરાબર આખે શરીરે નાહતો હતો. બધે પાણીએ નાહી રહ્યા પછી ખુલ્લા બેસી રહી કોરા થવાનું હતું. ધીમે ધીમે બધેથી જરા જરા પાણી સુકાયું અને કુંવરે કાળી ચીસ નાખી! એકદમ શરીર ખંજોળવા લાગ્યો, અને ચળ સહન ન થતાં, તેણે પેલી ગરમગરમ અડાયાંની રાખમાં પડી આળેટવા માંડ્યું. ઘડીમાં તે બેભાન થઈ ગયો.

રાજા એકદમ દોડતો આવ્યો. તેણે કુંવરને બૂમ ઉપર બૂમ પાડી બોલાવવા માંડ્યો, પણ કુંવર મરેલા જેવો પડ્યો હતો. તેણે કુંવરના શરીરને હાથ અડાડી જોયો તો તેનો હાથ ખૂબ ચચરવા લાગ્યો. ભયમાં ને ભયમાં તેણે ચોકીદારોને બૂમ પાડી પણ કોઈએ તેનો અવાજ સાંભળ્યો નહિ. ચોકીદારો તરફ દોડી જઈ તેણે રાજવૈદ્યને બોલાવવા કહ્યું. તે ફરી કુંવર પાસે દોડી ગયો. ફરી તેણે અડી જોયું તો કુંવરનું શરીર તેને ટાઢું પડતું લાગ્યું. તે ફરી ચોકિયાતો તરફ દોડ્યો. રાજવૈદ્ય માટે પૂછ્યું તો જવાબ મળ્યો કે તે બહારગામ ગયેલ છે. તેણે ત્યાં ને ત્યાં ત્રણ સૌથી સારા ઘોડાવાળા સવારોને બોલાવવા કહ્યું. ચોકિયાતોમાંથી કોઈ બોલાવવા ગયા અને બાકીનાનું ટોળું કુંવરની આસપાસ જમા થયું.

રાજા ભયથી ગાંડો થઈ બૂમ મારતો હતો, અને પેલા ત્રણ ઘોડેસવારો આવ્યા. તેમને દડમજલ દોડતા જઈ બુદ્ધિવિજયનું માથું કાપી લઈ આવવા હુકમ કર્યો. રાજવૈદ્યને આવતા એકાદ પ્રહર થઈ ગયો. તેણે આવીને આશ્વાસન આપ્યું. બધી હકીકત જાણી લીધી. વૈદ્યે કુંવરને શરીરે હાથ ફેરવ્યો. કુંવરને પસીનો વળતો હતો, તેને લીધે શરીર ઠંડુ લાગતું હતું પણ તેની નાડ બરાબર ચાલતી હતી. તેને અડતાં હવે હાથ ચણચણતો ન હતો. થોડીવારે કુંવર શુદ્ધિમાં આવતો હોય એમ લાગ્યું. તેને ધીમે રહીને મહેલમાં સુવાડ્યો. બે પ્રહરે તે શુદ્ધિમાં આવ્યો અને તેણે ઊંઘી જવા કહ્યું.

રાજવૈદ્યે હેમક્ષેમનો અભિપ્રાય આપ્યો અને સર્વે ટોળું વિખરાવા લાગ્યું ત્યારે પોતે પેલા ત્રણ સવારો મોકલ્યાનું રાજાને યાદ આવ્યું. તેણે દીવાનને વાત કરી. પણ હવે રાત પડવા આવી હતી. બીજા કોઈ સવારો પહેલાને પકડી પાડી શકે એમ હતું નહિ, માત્ર રાજસાંઢણી જ હવે તેને પહોંચી શકે, પણ તેના પર રાજા સિવાય કોઈથી બેસાય નહિ! રાજાએ તરત જાતે નીકળી ઘોડેસવારોને પહોંચી જવા ઈચ્છા દર્શાવી, પણ બધા દરબારીઓએ રાત પડી હતી માટે સવારે જવા, સવાર સુધીમાં કેમ રહે છે તે જોવા સલાહ આપી, અને ગુરુના આયુષ્યની ચિંતાનું, સાંઢણીના વખાણ કરી, પહોંચી જવાની ખાતરી આપી, નિવારણ કર્યું. રાત્રે બધા જોઈ શક્યા કે કુંવર તદ્દન હોશમાં હતો, અને ધીમે ધીમે તેની ઉપરની ચામડી ઊતરતી જતી હતી અને નીચેથી નવી સારી ચામડી આવતી જતી હતી. સવારે રાજા પોતાની સાંઢણી ઉપર એક હોંશિયાર સવાર લઈ એકલો નીકળી પડ્યો.

બુદ્ધિવિજયને ઉજ્જયિની પહોંચવા માટે એકાદ મજલ દૂર હતી, ત્યાં તેણે રસ્તામાં દક્ષિણના રાજ્યના ત્રણ સવારોને મારતે ઘોડે આવતા જોયા. હજી આ સવાર એક બે દિવસ વહેલા કેમ આવ્યા, એમ વિચાર કરે છે ત્યાં તો તેને સવારોએ પડકારી ઊભો રાખ્યો. ઘોડા ઉપરથી ઊતરી બધા તલવાર તાણી ઊભા રહ્યા. બુદ્ધિવિજય હામ હાર્યો નહિ. તેણે કુંવરના, રાજ્યના, ખબર પૂછવા માંડ્યા, અને મહારાજાએ શા માટે દેહાન્તની શિક્ષા કરી તેનું કારણ એટલી કુનેહ અને નમ્રતાથી પૂછ્યું કે સવારો પોતે એને શા માટે મારે તેવા વિચારમાં પડી ગયા. આ રીતે એક-બે પ્રહર તે વાત લંબાવી શક્યો, પોતે નાસવાનો નથી, મરવાથી ડરતો નથી એમ બતાવી, રાહ જોવા સવારોને લલચાવી શક્યો. પણ ત્રીજા જ પહોરે સવારોએ દૂરથી સાંઢણી જોઈ, સાંઢણી અને રાજાને ઓળખ્યા. રાજા પોતે હુકમના અમલની ખાતરી કરવા આવે છે એ વિચારથી બેબાકળા થઈ તેઓએ એક સાથે અનેક ઘા મારી બુદ્ધિવિજયને પૂરો કર્યો.

અનેક મહત્ત્વાકાંક્ષાઓ, વિજયની યોજનાઓ, તર્કો, લોહી સાથે તેના દેહમાંથી નીકળી, ધૂળમાં ભળી ગયાં અને તેનું કશું ચિહ્ન રહ્યું નહિ!

 [પાછળ]     [ટોચ]