[પાછળ]
સ્વર્ગ અને નરકનો સહેલો રસ્તો

સંકલિત

ક બાળકને સ્વર્ગ અને નરક બન્ને જોવાની ખૂબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને તેણે આ બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યું. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યું, “ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની મૂલાકાત કરાવું. બોલ તારે પહેલા કોની મૂલાકાત લેવી છે?”

બાળકે કહ્યુ, “પ્રભુ, પહેલા નરક બતાવો પછી સ્વર્ગમાં વધુ વખત પસાર કરીએ ને થોડો સમય આરામ પણ કરીએ તો તેમાં વાંધો ન આવે.”

ભગવાન બાળકને લઇને નરકમાં ગયા. દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા. બાળકે જોયુ તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા. જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા. આમ છતાં લોકો ભૂખના માર્યા તરફડીયા મારી રહ્યા હતા. કેટલાંકના મોઢામાંથી સારું ભોજન જોઇને લાળો ટપકતી હતી પરંતુ એ ભોજન લેતાં ન હતા.

બાળકે ભગવાનને પુછ્યુ, “પ્રભુ આવું કેમ? ભોજન સામે હોવા છતાં આ લોકો કેમ ખાતાં નથી અને દુ:ખી થઇને રડારોડ કરે છે?”

ભગવાને બાળકને કહ્યું, “બેટા, આ તમામ લોકોના હાથ સામે જો. બધાના હાથ સીધા જ રહે છે. તેઓ એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજનને હાથમાં લઇ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી. ભોજનને મુખ સુધી પહોંચાડવા એ એને હવામાં ઊંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટે બનતા પ્રયાસ કરે છે પણ એમાં એ સફળ થતા નથી.”

બાળકે દલીલ કરતા કહ્યું, “પ્રભુ, આ તો નરકના લોકો માટે હળાહળ અન્યાય જ છે. ભોજન સામે હોવા છતાં તમે કરેલી કરામતને કારણે તેમનો હાથ વળતો નથી અને એ ખાઇ શકતા નથી.”

ભગવાને કહ્યું, “ચાલ બેટા, હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવું. એ જોઇને તને નરક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઇ જશે અને હું અન્યાય કરું છું કે કેમ તેની પણ તને ખબર પડી જશે.”

બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયો. અહિંયા નરકમાં હતા એ જ પ્રકારના બધા ભોજન હતા અને એવી જ વ્યવસ્થા હતી. છતાંય બધાના ચહેરા પર આનંદ હતો. બધા શાંતિથી ભોજન લઇ રહ્યા હતા. બાળકે ધ્યાનથી જોયુ તો અહિંયા પણ દરેક લોકોની શરીરની સ્થિતિ નરક જેવી જ હતી. મતલબ કે કોઇના હાથ કોણીથી વળી શકતા ન હતા પરંતુ લોકો ભોજન લેતી વખતે એકબીજાને મદદ કરતા હતા. સામ-સામે બેસીને પોતાના હાથમાં રહેલો કોળીયો સામેવાળી વ્યક્તિના મુખમાં મૂકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલો કોળિયો પોતાના મુખમાં સ્વીકારતા હતા.

બાળકે ભગવાનની સામે જોઇને હસતાં હસતાં કહ્યું, “પ્રભુ, તમારી વાત સાચી છે. હવે મને સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત બરાબર સમજાઇ ગયો છે.”

સ્વર્ગ કે નરકનો અનુભવ લેવા માટે તમારે મરણ આવે ત્યાં સુધી રાહ જોવાની જરુર નથી. એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો તમને આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે. ‘તારું જે થવું હોય તે ભલે થાય, હું તો મારું જ કરું’ આવી વિચારસરણી જ્યાં છે તે નરક છે અને ‘મારું જે થવું હોય તે ભલે થાય, પણ પહેલાં હું તારું કરું’ આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે.

(આ વાર્તા whatsappના અનેક ગ્રૂપમાં લાંબા વખતથી ફર્યા કરે છે પણ તે માત્ર ફોરવર્ડ થયા કરે છે. ઈનવર્ડ ક્યારે થશે, કોણ જાણે !! )

[પાછળ]     [ટોચ]