[પાછળ]

પછી શામળિયોજી બોલિયા
પછી શામળિયોજી  બોલિયા  તને સાંભરે રે
હાજી  બાળપણાંની પ્રીત  મને કેમ વિસરે રે

આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે
સાંદીપનિ  ઋષિને  ઘેર  મને  કેમ વિસરે રે

અન્ન  ભિક્ષા માંગી લાવતા  તને  સાંભરે રે
હાજી જમતાં ત્રણે ય સાથ મને કેમ વિસરે રે

આપણે  સુતા  એક  સાથરે  તને  સાંભરે રે
સુખ દુઃખની  કરતા વાત  મને કેમ વિસરે રે

પાછલી   રાતના   જાગતા  તને   સાંભરે રે
હાજી  કરતા  વેદનો પાઠ  મને કેમ વિસરે રે

ગુરુ  આપણા  ગામે   ગયા  તને  સાંભરે રે
હાજી જાચવા કોઈ  શેઠ  મને  કેમ વિસરે રે

કામ    દીધું   ગોરાણીએ   તને   સાંભરે રે
કહ્યું   લઈ  આવો   કાષ્ટ મને કેમ વિસરે રે

શરીર આપણાં  ઉકળી ગયાં  તને સાંભરે રે
હાજી લાગ્યો સૂરજ  તાપ મને કેમ વિસરે રે

ખંભે     કુહાડા   ધરિયા   તને   સાંભરે રે
ઘણું  દૂર ગયા  રણછોડ  મને કેમ વિસરે રે

આપણે વાદ વદ્યા ત્રણે બાંધવા તને સાંભરે રે
હાજી  ફાડ્યું   મોટું  ઝાડ  મને કેમ વિસરે રે

ત્રણ   ભારા  બાંધ્યા   દોરડે  તને  સાંભરે રે
હાજી  આવ્યા  બારે   મેહ  મને કેમ વિસરે રે

શીતળ   વાયુ   વાયો   ઘણો  તને  સાંભરે રે
હાજી   ટાઢે  થરથરે   દેહ  મને કેમ વિસરે રે

નદીએ   પૂર   આવ્યું   ઘણું   તને  સાંભરે રે
ઘન  વરસ્યો   મૂશળધાર   મને કેમ વિસરે રે

એકે    દિશા   સૂઝે   નહિ   તને   સાંભરે રે
થાતા વીજ  તણાં  ચમકાર  મને કેમ વિસરે રે

ગુરુજી   નીસર્યાં    ખોળવા    તને   સાંભરે રે
દેતાં ગોરાણીને ઠપકો અપાર મને કેમ વિસરે રે

આપણને    છાતીએ   ચાંપિયાં તને  સાંભરે રે
હાજી   તેડીને  લાવ્યા  ઘેર  મને કેમ વિસરે રે
-પ્રેમાનંદ

ચાલો શામળિયાની જેમ આપણે પણ જૂનો જમાનો યાદ કરીએ. પ્રેમાનંદની આ લોકપ્રિય કવિતા ૧૯૪૭ના ચિત્રપટ ‘કૃષ્ણ સુદામા’માં સંક્ષિપ્તમાં રજૂ થઈ હતી. ગીત-સંગીત અવિનાશ વ્યાસના હતા. તે ચિત્રપટના બધાં ગીતોમાં કૃષ્ણના પાત્રને કંઠ એ.આર. ઓઝાએ આપ્યો હતો જ્યારે સુદામાના પાત્રને કંઠ અવિનાશભાઈનો સાંપડ્યો હતો.

ક્લીક કરો અને સાંભળો એ.આર. ઓઝા અને અવિનાશ વ્યાસના સ્વરમાં ૧૯૪૭માં ગવાયેલી આ કવિતાની થોડી પંક્તિઓ–


[પાછળ]     [ટોચ]