રે પંખીડા ! સુખથી ચણજો
(મંદાક્રાંતા)
રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
શાને આવાં મુજથી ડરીને, ખેલ છોડી ઊડો છો?
પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું
ના ના કો' દી' તમ શરીરને કાંઈ હાનિ કરું હું
ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે
રે! રે! તો યે કુદરતથી મળી ટેવ બીવા જનોથી
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની
જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો' હસ્તનો, હા
પાણો ફેંકે તમ તરફ, રે! ખેલ એ તો જનોના
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી
રે! રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી
-કલાપી
|