[પાછળ]
અભણ અમરેલવીએ કહ્યું

યુદ્ધો, યાતનાશિબિરો, હોનારતો હાહાકારો હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો ભૂખમરો મોત........ આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે? હશે. આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી. કેમકે આ તો અભ્યાસક્રમની બહારનો સવાલ છે! શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય બીજે દિવસે કતલખાને હડસેલાય એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું, તેને દૂધ નહીં આપવાના ગુના સબબ કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે? -આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો. હું અભણ છું મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને ગધેડીનો ના કહું તો શું કરું? પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી અને માતા આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે તેની મને ખબર છે....... આ ખબરની સાક્ષીએ હું શંકાનો લાભ આપીને સર્જકને કહું છું ઈશ્વર. હું ઈશ્વરને માફ નહિ કરું પણ સર્જક્ને ઈશ્વર કહું છું માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

-રમેશ પારેખ
[પાછળ]     [ટોચ]