જ્યારે આ આયખું ખૂટે
જ્યારે આ દેહ મહીં દેવે
ધીરેલું આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીતે માત નીંદરતું બાળ
ધીમેથી અંકમાં લીએ,
માસે માસે અમાસને દિન
દેવો મયંકને પીએ;
તેવી રીત ગોદમાં લેજે,
તારામાં સમાવી દેજે;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીતે બાપ ખંખેરી ધૂળ
બાળકના શીશને સૂંઘે,
થાકેલ બાળ બાપ ખભે ડોક
નાખી નિરાંતે ઊંઘે;
તેમ ખંખેરી લેજે,
મને તું તેડી લેજે;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવા મહાન કવિના બસ જરા
એક શબ્દને સ્પર્શે,
ભાવક પ્રવેશે તેને વિશ્વ
સ્વયં બસ રસને હર્ષે;
તેવો આકર્ષજે મુને,
તારે રસ વર્ષજે મુને;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
જેવી રીત માળી ખરેલાં પાન
ક્યારામાં વાળી લીએ,
નવ અંકુર પાંગરવા કાજ
એ પાનને બાળી દીએ;
તેમ મુજ જીવનના સૌ શેષનું
કોઈને ખાતર કરજે,
કોમાં નવજીવન ભરજે;
મારો કોને લોપ ન નડશો,
મારો કોઈ શોક ન કરશો;
જ્યારે આ આયખું ખૂટે,
જીવનનો તાંતણો તૂટે.
-રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ ક્લીક કરો, સાંભળો અને માણો
આ કાવ્ય પ્રત્યે ‘શેષ’ જેટલા જ સમર્પિત
ભાઈલાલભાઈ શાહના સ્વર અને
સ્વરાંકનનું અનુપમ ઈન્દ્રધનુષ્યઃ
ઓડિયો ક્લીપ સૌજન્યઃ
ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન
અમદાવાદ |