[પાછળ]
જ્યારે આ આયખું ખૂટે

જ્યારે આ દેહ મહીં દેવે ધીરેલું આયખું ખૂટે, જીવનનો તાંતણો તૂટે. જેવી રીતે માત નીંદરતું બાળ ધીમેથી અંકમાં લીએ, માસે માસે અમાસને દિન દેવો મયંકને પીએ; તેવી રીત ગોદમાં લેજે, તારામાં સમાવી દેજે; જ્યારે આ આયખું ખૂટે, જીવનનો તાંતણો તૂટે. જેવી રીતે બાપ ખંખેરી ધૂળ બાળકના શીશને સૂંઘે, થાકેલ બાળ બાપ ખભે ડોક નાખી નિરાંતે ઊંઘે; તેમ ખંખેરી લેજે, મને તું તેડી લેજે; જ્યારે આ આયખું ખૂટે, જીવનનો તાંતણો તૂટે. જેવા મહાન કવિના બસ જરા એક શબ્દને સ્પર્શે, ભાવક પ્રવેશે તેને વિશ્વ સ્વયં બસ રસને હર્ષે; તેવો આકર્ષજે મુને, તારે રસ વર્ષજે મુને; જ્યારે આ આયખું ખૂટે, જીવનનો તાંતણો તૂટે. જેવી રીત માળી ખરેલાં પાન ક્યારામાં વાળી લીએ, નવ અંકુર પાંગરવા કાજ એ પાનને બાળી દીએ; તેમ મુજ જીવનના સૌ શેષનું કોઈને ખાતર કરજે, કોમાં નવજીવન ભરજે; મારો કોને લોપ ન નડશો, મારો કોઈ શોક ન કરશો; જ્યારે આ આયખું ખૂટે, જીવનનો તાંતણો તૂટે.

-રામનારાયણ વિ. પાઠક ‘શેષ’

ક્લીક કરો, સાંભળો અને માણો આ કાવ્ય પ્રત્યે ‘શેષ’ જેટલા જ સમર્પિત ભાઈલાલભાઈ શાહના સ્વર અને સ્વરાંકનનું અનુપમ ઈન્દ્રધનુષ્યઃ ઓડિયો ક્લીપ સૌજન્યઃ ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન અમદાવાદ

[પાછળ]     [ટોચ]