અમે મનુજ અમે મનુજ! વિશ્વની સકલ યોજનામાં અમે રહ્યા સતત અગ્રણી; પરમસત્ત્વ આ સૃષ્ટિમાં! અમે મનુજ! બુદ્ધિના વિરલ વૈભવે સોહતાઃ અમે સકલ સર્જને શિરકિરીટ જેવા રહ્યા! અમે મનુજ! બુદ્ધિ તીવ્ર અમ વિશ્વના ભેદને ઘડીક મંહી દે કરી સુતર સોહ્યલા સર્વથા; ઘડીક મંહી બુદ્ધિ તીવ્ર અમ એ જ પ્રશ્નો કરી રચે ગહન કોયડા જ અમને ય મૂંઝાવતા! અમે મનુજ! બુદ્ધિથી સબળ આ અમારી અમે મહા મનુજ વંશને પશુ દશાથી ઉદ્ધારિયો; અને સબળ બુદ્ધિ એ જ મનુવંશને પાશવી દશા મંહી કરી રહે વિલસતો અને રાચતો! અમે મનુજ! બુદ્ધિના અમ અમાપ સામર્થ્યથી અમે મન-શરીરની સકલ શૃંખલા ભેદતા; અને અમ સમર્થ બુદ્ધિ નિત શૃંખલાઓ નવી રચી જ અમ બાંધતી મન-શરીરને સર્વદા! અમે મનુજ! આ અનન્ય અમ બુદ્ધિના વૈભવે પ્રતિછવિ અમે બન્યા અતિસુરેખ સ્રષ્ટાતણી; અને અવ અનન્ય બુદ્ધિ અમ એ જ સ્રષ્ટાતણાં સ્રજે છ ગુણ, રૂપ, જ્ઞાન, વળી કર્મ, આકારને. અમે મનુજ! બુદ્ધિમાં અમ અસીમ શ્રદ્ધા રહી; ને ન અમ બુદ્ધિને ગણતરી ય શ્રદ્ધા તણી! અમે મનુજ! કેન્દ્ર સૌ જગતનાં ય બુદ્ધિ વડે; અને જગતને જ કેન્દ્ર અમ બુદ્ધિ માની રહી! (‘આરાધના’, પૃષ્ઠ ૪૪-૪૫) -મનસુખલાલ મગનલાલ ઝવેરી
|