[પાછળ]
પિટર, કૈયાફસ-હેરોડ અને બીજા

પિટર

‘વીતશે રજનિ, ભોર ઊગશે,
તું  ત્રિવાર  મુજને નકારશે.’
કોણ?                     
‘તું,   પિટર-હા,   જરૂર   તું
 તું કહીશ; નહિ ઓળખું ઈસુ
કોણ!’                     

     ને  પછી મહાલયે બધા
ધર્મધુરીણ  તણા  ગયા હતા.
એક આવી પરિચારિકા પૂછે:
‘તું   અલ્યા   નહિ    હતો?’
              ‘નહિ.’  -અને
અન્યને  ય  વળતો નકાર દે.

કૂકડે  ગજવિયું  પ્રભાત  ત્યાં
તે  ક્ષણે  નજર  ઈસુની  પડી
મ્લાન  ધૂસર મુખે  રડી રહ્યો.
‘વંચના  પિટર  તેં કરી  ભલે,
વંચના  નહિ થશો જ કોઈની.’

કૈયાફસ-હેરોડ અને બીજા

ધર્મધુરીણ,         સમાજરક્ષક
પોથીપંડિત  અને  ધની   બધાં,
ભાવના  સઘળી   રૂંધતા   રહી
શ્રેય  શું  જગતનું  તમે   કરો?
શું તમે નિયતિ-ચક્ર-સ્વામી છો?

ઈસુને   કશું   ન   લૂંટવું   હતું
સંગ્રહેલું  હતું   જે   તમે  બધું.
રિદ્ધિઓ    હૃદયની    લૂંટાવવા
એ  વિશાળ જગ-ચોકમાં ઊભો.

પરંતુ તમને નહિ હૃદય-સિદ્ધિની ખેવના,
સનાતન પુરાણને ગણી, નવીનને રૂંધતા.

સંસારની  નિષ્ફળતા  તણા  તમે
ઊભા બધા સ્મારક શા પુરાતન!

-હરિશ્ચંદ્ર ભટ્ટ

[પાછળ]     [ટોચ]