[પાછળ]
નિસ્બત છે અમોને ધરતીથી

નિસ્બત છે  અમોને ધરતીથી,  તુજ  સ્વર્ગનું  વર્ણન કોણ કરે?
ઘર-દીપ  બુઝાવી   નાંખીને,   નભ-દીપને  રોશન  કોણ  કરે?
જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી  વધુ  મુજ  કિસ્મતનું,  સુંદર  અનુમોદન  કોણ  કરે?

વીખરેલ  લટોને  ગાલો  પર,  રહેવા  દે  પવન,  તું  રહેવા  દે
પાગલ  આ ગુલાબી મોસમમાં,  વાદળનું  વિસર્જન  કોણ કરે?
આ  વિરહની  રાતે  હસનારા  તારાઓ  બુઝાવી  નાખું   પણ,
એક  રાત  નભાવી  લેવી  છે,  આકાશને  દુશ્મન  કોણ  કરે?

જીવનની  હકીકત  પૂછો  છો?  તો મોત  સુધીની  રાહ જુઓ
જીવન  તો  અધૂરું  પુસ્તક છે,  જીવનનું  વિવેચન  કોણ  કરે?
લાગે  છે કે  સર્જક  પોતે  પણ કંઈ  શોધી  રહ્યો છે દુનિયામાં
દરરોજ   નહિતર  સૂરજને  ઠારી   ફરી  રોશન  કોણ  કરે?

-સૈફ પાલનપુરી ક્લીક કરો અને સાંભળો શ્યામલ-સૌમિલ મુનશીની સુંદર રજૂઆતઃ
[પાછળ]     [ટોચ]