[પાછળ]
તોડવાં છે સઘળાં સગપણ

એક એરણ, કે પછી ઘણ,  હોય એ આપો મને,
તોડવાં સઘળાં જ સગપણ, હોય એ આપો મને.
છાતીમાં અંગાર ચાંપુ? હોઠ સળગાવું? કે શું?
આ તૃષાનું  જે  નિવારણ  હોય,  એ આપો મને.

રાતનું લઈ ચેન, આખો દિ’ જે આંસુ દઈ જતી,
એવી  પ્રીતિનું  વળામણ  હોય  એ  આપો  મને.
ભૂખનો  મતલબ  રહ્યો ના,  ને  તરસ કોઠે પડી,
શુષ્ક દરીયો કે સભર રણ,  હોય એ આપો મને!

આજીવન દેતી  રહી છું,  આજીવન  દેતી રહીશ,
એકાદ  આંસુ  કે  કંઈ પણ હોય એ  આપો મને.
કૃષ્ણ  માફક  કોઇને તરછોડી  દે,  એ  હું  નથી,
ગાયધણ, વ્રજકણ કે માખણ, હોય એ આપો મને.

-નેહા પુરોહિત
[આ કવિતાનો પાઠ લોકપ્રિય વેબસાઈટ લયસ્તરો.કોમ પરથી સાભાર લેવામાં આવ્યો છે.]
[પાછળ]     [ટોચ]