એવાં સન્મિત્ર સૌને મળો
સુખદુઃખમાં સાથે રહે નિજ હર્ષશોક શમાવતા
અપમાન કરીએ તોય પણ મનમાં ન લેશે લાવતા
હિત હોય તે હૈયે ધરી પ્રીતે કરે પળવારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં
કારણ વિના સંબંધ બાંધી પ્રેમ પૂર્ણ વધારતા
આ લોક ને પરલોકની સુખરૂપ વાત વિચારતા
ઉપદેશ આપે સદ્ગુણનો નિત્ય શુભ આકારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં
પ્રિય પિંડના જે પાપ તે નરમાશમાં જ નિવારતા
મન જાય જો મર્યાદ લોપી વિનયથી તે વારતા
કોટિ કરે ઉપકાર પણ ભારે ન ભારે ભારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં
જે દુર્ગુણો કે દ્વેષ દિનરાત મિત્રમાં દેખાય છે
તેને તજાવી યુક્તિથી ગુણમાં ગણાવી ગાય છે
ભ્રમ, ભેદ, આળસ, ઊંઘને ખોદી કઢાવે ખારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં
વિદ્યા વિનયથી યુક્ત સદ્ગુણમાં સદા જે લીન છે
પૂરા પરાક્રમવાન પણ પ્રેમમાં આધીન છે
ભાવે ભણાવે ભેદ જે ઘાટે કરી ઘરબારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં
તનમન તણાં જે તાપને ટાળે વળી ક્ષણ એકમાં
હારી ગયા જો હોંશ તો ટોંકી રખાવે ટેકમાં
પાસે રહે પોતે, વળી વશમાં બધા વ્યવહારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં
સાચાં સહોદરરૂપ શુભ નારીસમાન થઈ રહે
કડવાં કથોરાં વેણને સાકર સમાન કરી રહે
પ્રિય હોય તે પ્રેમે કરી પલળી રહે જે પ્યારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં
જેને નિહાળી નયનમાંથી હર્ષનાં અશ્રુ ખરે
જેને મળીને હૃદય શાંત થઈ સદા સુખમાં ઠરે
અધિકાર રૂડાં મેળવે સરકાર કે દરબારમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં
શ્રીકૃષ્ણ અર્જુનને અને હનુમાન સીતાકાન્તને
વસુદેવના સુત સાંપડ્યાં કેશવ સુદામા શાન્તને
ઉપકાર કરવામાં રહે પાછળ નહિ પરમાર્થમાં
એવાં, સકળ જનને મળો સન્મિત્ર આ સંસારમાં
-કેશવલાલ હરિરામ ભટ્ટ (૧૮૫૨-૧૮૯૬) |