તારાં સ્વજન તને જાય મૂકી તો
તારાં સ્વજન તને જાય મૂકી તો
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.
તારી આશા-લતા પડશે તૂટી;
ફૂલ ફળે એ ફાલશે ના...
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.
માર્ગે તિમિર ઘોર ઘેરાશે
એટલે શું તું અટકી જાશે?
વારંવારે ચેતવે દીવો
ખેર, જો દીવો ચેતશે ના...
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.
સુણી તારા મુખની વાણી
વીંટળાશે વનવનનાં પ્રાણી
તોય પોતાના ઘરમાં તારે
પાષાણના હૈયાં ગળશે ના...
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.
બારણાં સામે બંધ મળે,
એટલે શું તું પાછો વળે?
વારંવારે ઠેલવાં પડે,
બારણાં તોયે હાલશે ના...
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના.
-મહાદેવભાઈ દેસાઈ
ક્લીક કરો અને માણો પ્રણવ એચ. મહેતાના
સ્વરમાં ગુરૂદેવ ટાગોર પ્રેરિત
આ સુંદર ગીત બંગાળી બાઉલ ઢાળમાં
સંગીતઃ ગૌરાંગ વ્યાસ
|