[પાછળ] 
હું કોને વિસરી ગઈ?

(મંદાક્રાન્તા-સોનેટ)
એનું એ છે ઘર જ્યહીં વીત્યું મસ્ત કૌમાર્ય આખું
ખૂણેખૂણો  હજી  જગવતો   રમ્ય   નિર્દોષતાનાં
તોફાનોનાં સ્મરણ  હજી યે એ જ  પ્રેમે પૂછે  છે
ભાઈબ્હેનો ખબર સઘળી  ને  પિતા  ભવ્યતાના

ઊંડા ઘેરા ઉદધિ સરખા  આંખ  આશિષ ભીની
વર્ષાવે  છે  શ્વશુરગૃહથી   આવી  હું  દેખતાં જ
માતા ઘેલી થઈ  ઘડી ઘડી  કાળજી  વ્હાલથી લૈ
વાત્સલ્યોનાં અમૃત થકી આ જિંદગી બાગ સીંચે

આવે  મારી  સખિરી  કંઈ  હૈયે ભરી ગોઠડીઓ
પ્હેલાં જેવું  ઘર  હજી  ભર્યું  કૈંક  સ્નેહીજનોથી
એનું  એ છે  સઘળું અહીં  જેથી સદા તૃપ્ત તૃપ્ત
રહેતી'તી  હું  સભર  બધું એવું  જ આનંદદાયી

તો યે  શાને  સહુ સૂનું લહું  હર્ષ તૃપ્તિ  જરી ના
ત્યાં હું કોને વીસરી ગઈ? કોને? અરે હું મને જ!
(૧૭-૦૮-૧૯૫૫)

-ગીતા પરીખ
 
 [પાછળ]     [ટોચ]