ઓ વાતોના વણઝારા
ઓ વાતોના વણઝારા,
સુણ બે'ક સવાલ અમારા!
અણભંગ વહેતી તવ વદને
શબદ-ગંગની ધારા:
વણઓલવાયેલ તોય રહે શેં
જગ ઉરના અંગારા!
‘બ્રહ્મ, જીવ, માયા’ -મણમણના
ચગવે મભમ ગબારા:
ચોખ્ખું ને ચટ કહેને, દીઠા
આ ઘટના ઘડનારા?
જીભ-જંતરના મધઝર જાદુ,
કાનને કામણગારા:
પણ ખાંડાના ખેલે એના
શા ખપના સથવારા?
ઓ વાતોના વણઝારા!
-કરસનદાસ માણેક |