[પાછળ]
મરણ

(શાર્દૂલવિક્રિડીત-સોનૅટ)
શસ્ત્રો  છેદી  શકે  કદી નવ, વળી બાળી ન  વન્હિ શકે
પાણી  ના  ભીંજવી  શકે પ્રલયનો વાયુ  ન  શોષી શકે;
નિત્ય સ્થાણુ અનન્ત નિશ્ચલ,  ભલે ગીતા ભણે આત્મને
તોયે  અન્તરમાં  સનાતન  સૂરો  ન  સ્થિરતા  એ  ગ્રહે.

આત્મા શાશ્વત; તો પછી મરણ શું? ક્યાંથી પ્રવેશ્યું જગે
કોણે એ  ઉપજાવ્યું  ને  સ્વરૂપ શું?  કેવી રીતે  એ રહે!
મૃત્યુને  નથી મૃત્યુ  શું?  જગતને  કો'ના નિયોગે ગ્રસે!
પ્હેલાં શું  જગતમાં હતું મરણની,  એના પછી  શું હશે?

મૃત્યુને  અધિકાર  શો   જગતના  સૌન્દર્ય   સંહારવા?
નિર્મી જે  ન  કંઈ  શકે, કૃતિ કહાં તૈયાર  તે  ભાંગવા?
એની જો અનિવાર્યતા જગતમાં  તો  કાં બધાં જન્મતાં?
મૃત્યુ ના પરિહાર્ય તો  જનમવું   એથી શી  મોટી પીડા!

કે જન્મ્યાં જ નથી  ચરાચર બધાં તત્વો  દિસે  જે જગે
કલ્પી  લે   અનુમાનથી  મરણને   અધ્યાસના   કારણે!
(૨૨-૧૨-૧૯૩૦)

-નલિન મણિશંકર ભટ્ટ
[પાછળ]     [ટોચ]