[પાછળ]

ન હીન સંકલ્પ હજો

સ્વતંત્રતા, દે વરદાન એટલું: ન હીન સંકલ્પ હજો કદી મન; હૈયું કદીયે ન હજો હતાશ; ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ; વાણી ન નિષ્કારણ હો કઠોર; રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે; ને આંખમાંના અમી ના સૂકાય; ન ભોમકા ગાય વસૂકી શી હો! વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી. સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી, બને યુવાનો ન અકાલ વૃદ્ધ, વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો; ધુરા વહે જે જનતાની અગ્રીણો, તે પંગતે હો સહુથી ય છેલ્લા; ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે સત્તા તણા રે ન પુરોહિતો બને. અને થઈને કવિ, માગું એટલું ના તું અમારા કવિવૃંદને કદી ઝૂલંત તારે કર પીંજરાના બનાવજે પોપટ- ચાટુ બોલતા. સ્વતંત્રતા, દે વરદાન આટલું. (૧૫-૦૮-૧૯૫૨) -ઉમાશંકર જોશી
[પાછળ]     [ટોચ]