[પાછળ] 
પ્રભુ જીવન દે!  નવજીવન દે!

(રાગ સારંગ, તાલ ત્રિતાલ અથવા કેરવા) પ્રભુ જીવન દે હજી જીવન દે વિપદો નિતનિત્ય નવીન પડે ડગલું ભરતાં કુહરે જ પડે કંઈ ગુપ્ત ભયો મહીંથી ઊઘડે વનકંટકથી તન રક્ત ઝરે પણ તોય ન અશ્રુ કદાપિ ખરે દ્રગ, એ પડીને ફરીથી ઉપડે પગ, એટલું હે પ્રભુ જીવન દે પ્રભુ જીવન દે! નવજીવન દે! પ્રભુ બંધનમાં જકડાઈ ગયો મુજ દેહ બધો અકળાઈ ગયો અવ ચેતન દે! નવચેતન દે! સૌ એક જ ઘાથી હું તોડી દઉં તલ ગાઢ અહંત્વનું ફોડી દઉં તુજ વારિ વિશાલ મહીંથી ઉડે લઘુ પામરતા બધી માંહી બુડે જલ એ ઉભરી અભર્યું જ ભરે પ્રભુ એ જલમાં ઝીલવાનું જ દે પછી દર્દુર દીર્ઘ રવે જ ભલે દિનરાત ડરાઉં ડરાઉં કરે પણ નિર્ભય મુક્ત અસીમ જલે ઝીલતાં જનશું મળવાનું જ દે પ્રભુ ચેતન દે! નવચેતન દે! યદિ એ નવ દે – પણ જીવનઓટ ન ખાળી શકું મુજ જીવનખોટ ન વાળી શકું હળવે મુજ જીવનહ્રાસ થતો અમ નિર્બળનો ઉપહાસ થતો જગ ટાળી શકું નહિ, એવું ન દે! પ્રભુ એ કરતાં મુજ આયુષશેષ ય સંહરતાં ઘડી યૌવન જીરણ અંગ તું દે! પ્રભુ જિંદગી પુણ્ય વિના ગઈ છે પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે બીજું ના કંઈ તો બસ આટલું જ દે જગપાપશું કૈં લડવાનું જ દે લડી પાર અને પડવાનું જ દે! હસી મૃત્યુમુખે ધસવાનું જ દે ધસી મૃત્યુમુખે હસવાનું જ દે જીવવા નહિ તો મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે ઘડી એ બસ એટલું યૌવન દે પ્રભુ યૌવન દે નવયૌવન દે (પ્રસ્થાન, અંક માગશર, વિ.સં. ૧૯૮૨)

-રામનારાયણ વિશ્વનાથ પાઠક
 [પાછળ]     [ટોચ]