પ્રભુ જીવન દે! નવજીવન દે!
(રાગ સારંગ, તાલ ત્રિતાલ અથવા કેરવા)
પ્રભુ જીવન દે હજી જીવન દે વિપદો નિતનિત્ય નવીન પડે
ડગલું ભરતાં કુહરે જ પડે કંઈ ગુપ્ત ભયો મહીંથી ઊઘડે
વનકંટકથી તન રક્ત ઝરે પણ તોય ન અશ્રુ કદાપિ ખરે
દ્રગ, એ પડીને ફરીથી ઉપડે પગ, એટલું હે પ્રભુ જીવન દે
પ્રભુ જીવન દે! નવજીવન દે!
પ્રભુ બંધનમાં જકડાઈ ગયો મુજ દેહ બધો અકળાઈ ગયો
અવ ચેતન દે! નવચેતન દે!
સૌ એક જ ઘાથી હું તોડી દઉં તલ ગાઢ અહંત્વનું ફોડી દઉં
તુજ વારિ વિશાલ મહીંથી ઉડે લઘુ પામરતા બધી માંહી બુડે
જલ એ ઉભરી અભર્યું જ ભરે પ્રભુ એ જલમાં ઝીલવાનું જ દે
પછી દર્દુર દીર્ઘ રવે જ ભલે દિનરાત ડરાઉં ડરાઉં કરે
પણ નિર્ભય મુક્ત અસીમ જલે ઝીલતાં જનશું મળવાનું જ દે
પ્રભુ ચેતન દે! નવચેતન દે!
યદિ એ નવ દે –
પણ જીવનઓટ ન ખાળી શકું મુજ જીવનખોટ ન વાળી શકું
હળવે મુજ જીવનહ્રાસ થતો અમ નિર્બળનો ઉપહાસ થતો
જગ ટાળી શકું નહિ, એવું ન દે!
પ્રભુ એ કરતાં
મુજ આયુષશેષ ય સંહરતાં
ઘડી યૌવન જીરણ અંગ તું દે!
પ્રભુ જિંદગી પુણ્ય વિના ગઈ છે પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે
બીજું ના કંઈ તો બસ આટલું જ દે જગપાપશું કૈં લડવાનું જ દે
લડી પાર અને પડવાનું જ દે!
હસી મૃત્યુમુખે ધસવાનું જ દે ધસી મૃત્યુમુખે હસવાનું જ દે
જીવવા નહિ તો મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે
ઘડી એ બસ એટલું યૌવન દે પ્રભુ યૌવન દે નવયૌવન દે
(પ્રસ્થાન, અંક માગશર, વિ.સં. ૧૯૮૨)
-રામનારાયણ વિશ્વનાથ પાઠક
|