[પાછળ] 
પૂછું તને?

એકાન્તમાં  એકલવાયું   લાગતાં
ભલે થયો  તું  બહુમાં  વિભક્ત;
સર્જી     ભલે    તેં   રસરૂપરંગે
ભરી ભરી,  ચિત્રવિચિત્ર  સૃષ્ટિ.

સર્જી  ભલે  તેં જડ ને સજીવની
અનન્ત  લીલા  તવ  ખેલ કાજે;
અને  હજી  યે  તવ  એ  કલાને
ભલે  બહાવી જ  રહી તું  રાચે.

પરંતુ  પૂછું  હું તને?  બધાં આ ઓછાં પડ્યાં
ક્રીડનકો રસેભર્યાં કે તેં કર્યું સર્જન માનવીનું?
ને  માનવીને  ઘડિયો;  પછી યે  અધૂરું  શું યે
રહ્યું તને કે  તેં મૂક્યું  તેમાં વળી હૈયું મીણનું?
(૨૪-૦૭-૧૯૩૮)

-મનસુખલાલ ઝવેરી
 [પાછળ]     [ટોચ]