[પાછળ]
થશે શું મુજ મરણ પછી..

(દ્રુતવિલમ્બિત)
જઈશ જ્યાં જનમ્યાં સહુએ જતાં
પરહરી   જગપન્થ  તહીં   તદા-
ભ્રમણ  શું  ફરતું   અટકી જશે?
શિથિલ  ચક્ર  કદી  જગનું થશે?

ઝરણ  શું  વહતાં  વિરમી જશે?
જલધિ ગર્જન ઘોર  શું ત્યાગશે?
તજી,   તરુ-વન-કંદર    ભવ્યતા
ગ્રહણ  કરશે  શું   કદિ દીનતા?

મુરખ!  વીચિ  અસંખ્ય  સમુદ્રમાં
લઘુ  ગુરૂ  નિપજી   લય  પામતાં;
શતસહસ્ર   નભે   ઉડુઓ   ઉગે
પળ  પ્રકાશી  વળી   પળમાં ડૂબે;

તદપિ  વીચિ  અસંખ્ય  હજી  ઉઠે
નિપજશે  કંઈ   કોટિ  ભવિષ્યમાં;
મુરખ!   જો!   હજી અંબર તેનું તે
ખરી  જતાં  પણ ના ગણના  ઘટે!
(૨૧-૧૧-૧૯૩૦)
-નલિન મણિશંકર ભટ્ટ
[પાછળ]     [ટોચ]