મારી બાને વિશ્વાસ ના બેઠો
મારી બાને વિશ્વાસ ના બેઠો
જ્યારે ૧૯૪૫માં હું એના સ્વપ્નમાં
દેખાયો અને કહ્યું
આવતા વર્ષે હું તારી કૂખે અવતરીશ.
બાપુ ઓળખી ગયા
મને જોતાં જ
ડાબા અંગૂઠા નીચે તલ.
પણ બા છેક સુધી માનતી હતી
કે કોઈ બીજું અવતર્યું હતું
મારો ચહેરો ધારી.
બાપુ અને મેં દલીલો કરી
પણ સ્વપ્ન વિશ્વાસપાત્ર સાક્ષી નથી.
એ મૃત્યુ પામી ત્યાં સુધી
પ્રતીક્ષા કરી સંભવિત દીકરાર્થે.
કેવળ જ્યારે એ
મારી દીકરી તરીકે ફરી જન્મી
એણે સ્વીકાર્યું એ ખરેખર હું હતો.
ત્યાં સુધીમાં હું શંકાશીલ થયો’તોઃ
બીજા કોઈનું હૃદય
મારા શરીરમાં ધબકતું'તું.
એક દિવસ હું પાછું મેળવીશ મારું હૃદય;
મારી બાને પણ...
મલયાલમ કવિ કે. સચ્ચિદાનંદનની
કવિતાનો હિમાંશુ પટેલ દ્વારા અનુવાદ
(તા. ૦૬-૦૪-૨૦૧૨) |