એ સુભટ કાજ કો' નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’
રણવગડા જેણે વીંધ્યા
વહાલી જેને વનવાટ
જે મરતાં લગ ઝંખેલો
ઘનઘોર વિજન રઝળાટ
જે ગગન ચુંબતા ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ
એ સુભટ કાજ કો' નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’
દમ દમ કર્મે મચી રહેતાં
ઉછળે ઉરમાં ધબકાર
ભલી એ એની વિશ્રાંતિ
એ સુખ જીવન-આધાર
એ પડે લડથડે છતાં ઉઠી ફરી ચડે યુદ્ધ અવિરામ
એ સુભટ કાજ કો' નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’
ધગધગ ધખતી સહરામાં
એ મહાલે શીતળ સેજ
ઘનઘન અંધાર-નિશામાં
ભાળે ભાસ્કરનાં તેજ
વંટોળ વિષે પણ પામન્તો ફૂલ-દોલ તણા આરામ
એ સુભટ કાજ કો' નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’
જ્યમ શતશત પ્હાડ-શિખરથી
જળધોધ ઘુઘવતો જાય
જ્યમ ખુશખુશાલ કો જોદ્ધો
નિજ અશ્વ નચવતો જાય
ત્યમ સત્ય તણો શોધક નિજ પંથે ધસે સદા અવિરામ
એ સુભટ કાજ કો' નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’
વનવનનાં વદન હસવતી
કો સરિતા ચાલી જાય
દુર્ગંધ જગતની વહતી
સાગરમાં શાંત સમાય
સાચા જગસેવકનું જીવન ત્યમ પામે મૌન વિરામ
એ સુભગ કાજ કો' નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’
-ઝવેરચંદ મેઘાણી
|