नमामि तम् निर्भयम् उर्ध्वमानुषम्!
‘न मानुषात् श्रेष्ठतरं हि किञ्चित्।’
મનુષ્યથી ના અદકું કંઈ જ.
મનષ્યમાંયે શિર જેનું ઊર્ધ્વ,
મૂર્ધન્ય તે.
છે જોયું કો મસ્તક ઊર્ધ્વ? નામતું-
પ્રણામતું સર્વ ચરાચરોને
તે સંચરે; પ્રેમજળે પખાળતું
કો મૂઢ સત્તાજડ દંડધારકે
ઉદ્દંડ વા ધર્મ-તજ્યા અરાજકે
કરેલા ઘા સમાજ દેહે;
સ્નેહાર્દ્ર દૃષ્ટે દુરિતો શમાવતું.
પદે પદે અંતર પ્રાર્થતું રહે:
વસુંધરા, હું વસુ એક યાચું –
દે ક્ષાન્તિ તારી, શમમાં હું રાચું.
હે પર્વતો, હે નભ, હે મહાવનો,
નદી-નદો, હે રણ, હે મહાર્ણવ,
નમું તમોને! પશુ-પંખી-ઉદ્ભિદ!
નમું! ન જાણું તમને હું તેવો,
મનુષ્યને કૈંક હું જાણું જેવો.
મનુષ્ય મેં તેથી જ કૈંક સેવ્યો.
આવી ચડે જો પ્રભુ! તું કદીક,
તો આવજે તું થઈને મનુષ્ય. –
મનુષ્યતાને નવ આંચ આવે
કહીંયથી, વત્સલ એમ વર્તતા,
ને વાસના કે ભય ના નમાવી
શકે જ જેને,
नमामि तम् निर्भयम् उर्ध्वमानुषम्!
-ઉમાશંકર જોશી
(નોંધઃ આ કવિતા પૂજ્ય રવિશંકર મહારાજના
૭૫ વર્ષની પૂર્તિ પ્રસંગે ઈ.સ. ૧૯૫૯માં
મહાશિવરાત્રિના રોજ અમદાવાદમાં લખાઈ હતી.)
|