સીતા અયોધ્યાની સભામાં ગરીબડી થઈને ઊભી છે. પહેલી અગ્નિ-પરીક્ષા ટાણે સીતાએ અગ્નિદેવની પ્રાર્થના કરી હતી કે, ‘હું પવિત્ર હોઉં તો મારી રક્ષા કરજો.’ બીજી પરીક્ષાનો પ્રસંગ આવ્યો ત્યારે રક્ષા પણ ન માંગી. એણે આમતેમ જોયું. ત્રણે ભુવનના નાથ પોતાના પતિને જોયા. એના સમર્થ પુત્રોને જોયા. આખી સભાને જોઈ. પણ કશે પોતાનું સ્થાન દેખાયું નહિ. બધી દિશાઓ એને માટે બંધ થઈ ગયેલી લાગી. પાંચમાંથી ચાર મહાભૂતોનો માર્ગ રૂંધાઈ ગયો હતો. આકાશ, વાયુ, અગ્નિ અને જળ હવે એને માટે ઉચ્છિષ્ટ થઈ ગયાં હતાં. ‘હે ભૂમિમાતા! હવે માત્ર તારો ખોળો જ મારો આશ્રય છે!’ એ બોલી,
યદ્યાઽહં રાઘવાદન્યં મનસાઽપિ ન ચિન્તયે ।
તથા મે માધવિ દેવિ વિવરં દાતુમર્હસિ ॥
મુંને મારગ દે ભૂમિમૈયા!
ગગનપથે મુંને દૈત્યે હરી'તી
પવનસુતે લીધી ભાળ રે
અગનિનો ખોળો ખૂંદી વળી (હું તો)
સાત સાગરનાં નીરની પાળ રે
હવે બાકી ન એકે દ્વાર રે
મુંને મારગ દે ભૂમિમૈયા!
લંકાપુરીમાં પારખાં મેં દીધાં
અંગે અંગ લગાડી'તી લાય રે
લોકવચને હું તો સળગી ભીતરથી
વિયોગ જ્વાલાની માંય રે
વધુ જલવાનો કોઈ ન ઉપાય રે
મુને મારગ દે ભૂમિમૈયા!
જનક વિદેહીની લાડલી દુલારી
ત્રિભુવન પતિ મારા નાથ રે
સમરથ વીરોની માતા બની (હું તો)
તો યે રાંકડી થઈ જોડું હાથ રે
મારો ખૂટી ગયો દૈવનો સાથ રે
મુંને મારગ દે ભૂમિમૈયા!
નિનુ મઝુમદાર રચિત
સંગીત-નાટિકા ‘સીતાયન’નો અંશ
સ્વરઃ રાજુલ મહેતા
ક્લીક કરો અને સાંભળોઃ
[ભારતમાં રામરાજ્ય સ્થયાયું તે વખતે રામરાજ્યમાં વસવાટ માટે તદ્દન નાલાયક લેખાય એવા મુઠ્ઠીભર લોકોએ ભગવાન રામના સજળ નેત્રો સામે સતી સીતાને ભૂમિમાં સમાઈ જવાની ફરજ પાડી હતી. આજે લોકશાહીના સમયમાં લોકશાહીનો આવો જ ઉઘાડો દુરુપયોગ કરનારા ઘણાં માણસો પ્રજામાં અને રાજકર્તા વર્ગ બન્નેમાં અવારનવાર દેખાયા કરે છે. આપણું શું થશે તે તો ભગવાન રામ જાણે!] |
|