[પાછળ]
કિનારાઓ અલગ રહીને

કિનારાઓ અલગ  રહીને  ઝરણને  જીવતું રાખે;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

તળાવો  મૃગજળોના  જેમ  રણને   જીવતું રાખે,
બસ એ જ સ્વપ્ન તારું  એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું  ચાલે  તો  સળગાવી મૂકે સઘળું,
વ્યથાના   વાદળો   વાતાવરણને   જીવતું   રાખે.

કહો, એવી  હયાતીને   કોઈ  તકલીફ   શું આપે,
જે અંદરથી  મરી જઈ  આવરણને  જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ પણ
પ્રયાસો વિસ્મરણના  ખુદ  સ્મરણને  જીવતું રાખે.

‘રઈશ’ આ  દોસ્તો તારા  અધૂરા છે  શિકારીઓ,
ખૂપાવી  તીર  જે અડધું,  હરણને   જીવતું  રાખે.

ગઝલઃ રઈશ મનીઆર
સ્વર અને સ્વરાંકનઃ ધ્વનિત જોશી

ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]