[પાછળ]
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે

નેજવાને  પાંદડે  પોઢ્યા  માધવ તમે  એટલે  હું  પાન  નહીં  તોડું

ધખતી  બપોરમાં  બળતું  વેરાન  બધે  ઊના  તે  વાયરા  ફૂંકાતાં
ભાદરવે તડકાનાં પૂર ચડ્યા એટલાં કે છાંયડાઓ જાય છે તણાતા!

બંધ કરું  પોપચાં  તો મળે  સ્હેજ  છાંયડી એટલે વેરાન નહીં છોડું
નેજવાને  પાંદડે  પોઢ્યા  માધવ તમે  એટલે  હું  પાન  નહીં  તોડું

પીળચટ્ટા  ગીતમાંથી  ઊડીને પતંગિયાં  આવળના ફૂલ  થૈ છવાય!
આવળનાં ફૂલ  પીળા રંગનાં ખાબોચિયાં  એમાં  વેરાન પડી ન્હાય!

આવા  વેરાનને  બાંધતાં  દોરીને   જેમ  વગડાનું  ગાન  પડે  થોડું
નેજવાને  પાંદડે  પોઢ્યા  માધવ  તમે  એટલે  હું  પાન  નહીં  તોડું

સ્વરઃ ઉષા મંગેશકર
રચનાઃ અનિલ જોશી
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]